તામિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે (29 જુલાઈ)ના રોજ વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ વળતરની પણ જાહેરાત કરી હતી.
અમિત શાહે ટ્વીટ કર્યું કે કૃષ્ણગિરીમાં ફટાકડાની ફેક્ટરીનો અકસ્માત દુઃખદ છે. અમિત શાહે કહ્યું કે હું મૃતકોના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ઘાયલો અને મૃતકોના પરિવારજનોને વળતર આપવામાં આવશે.
PM મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ કહ્યું કે, તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના ખુબજ દુઃખદ છે. મારા વિચારો અને પ્રાર્થનાઓ આ ખૂબ જ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે, અને ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
પોલીસે શું કહ્યું?
ન્યૂઝ એજન્સી અનુસાર, કૃષ્ણાગિરી જિલ્લાના પઝાયાપેટ્ટાઈમાં ફટાકડાના કારખાનાના ગોડાઉનમાં અચાનક વિસ્ફોટ થવાની ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે થયેલા વિસ્ફોટને કારણે આસપાસની કેટલીક દુકાનો અને કેટલાક મકાનોને નુકસાન થયું છે. પોલીસ અને ફાયર સર્વિસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે.


