નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારની ઘટનાની આમ આદમી પાર્ટીએ નોંધ લીધી છે અને કહ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારની ઘટનાનો ઉલ્લેખ કરતા તેની નિંદા કરી અને કહ્યું કે અરવિંદ કેજરીવાલ આ બાબતથી વાકેફ છે અને તેઓ તેના પર કડક કાર્યવાહી કરશે.
કેજરીવાલ કડક કાર્યવાહી કરશે
સંજય સિંહે કહ્યું- ગઈકાલે ખૂબ જ નિંદનીય ઘટના બની. સ્વાતિ માલીવાલ ગઈ કાલે સવારે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા પહોંચી હતી. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી જ્યારે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર ત્યાં આવ્યા અને સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરી. સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલાની માહિતી પોલીસને આપી છે. અરવિંદ કેજરીવાલે સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તે પાર્ટીના જૂના અને વરિષ્ઠ નેતાઓમાંથી એક છે અમે બધા તેની સાથે છીએ.
કેજરીવાલમાં પગલાં લેવાની હિંમત નથી-સિરસા
તે જ સમયે આ મામલે બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાનું નિવેદન પણ સામે આવ્યું છે. સિરસાએ કહ્યું કે સંજય સિંહે સ્વીકાર્યું કે સ્વાતિ માલીવાલ જી પર અરવિંદ કેજરીવાલના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. 30 કલાક પછી પણ વૈભવ કુમાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કારણ કે તે અરવિંદ કેજરીવાલનો વિશ્વાસુ છે અને તેની પાસે દારૂ કૌભાંડની તમામ માહિતી છે. આ કારણે કેજરીવાલમાં પગલાં લેવાની હિંમત નથી.
કેજરીવાલ પણ દોષિત છે - કપિલ મિશ્રા
બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલ કાર્યવાહી કરશે તેવું આમ આદમી પાર્ટીનું નિવેદન છેતરપિંડી છે. તેમણે કહ્યું- સંજય સિંહે સ્વીકાર્યું કે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટ થઈ, કેજરીવાલે 31 કલાક સુધી મામલો દબાવી રાખ્યો. AAPનું નિવેદન કે કેજરીવાલ પગલાં લેશે આ વાતજ ફ્રોડ છે. કેજરીવાલ કોણ થાય છે પગલાં લેવાવાળા? પોલીસ કાર્યવાહી કરશે. કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલ સ્વાતિને માર મારવા અને ગુનાને દબાવવા માટે દોષિત છે. 31 કલાક સુધી પોલીસને જાણ ન કરવા બદલ દોષી છે.


