એર એશિયાની ફ્લાઇટ કર્ણાટકના બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વિના હૈદરાબાદ માટે ઉડાન ભરી હતી. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2થી હૈદરાબાદ જવાના હતા.
આ મામલાને લઈને રાજ્યપાલની પ્રોટોકોલ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યપાલ સમય પહેલા VVIP લાઉન્જમાં રાહ જોઈ રહ્યા હતા. વીઆઈપી લોન્જમાંથી તે રનવે પર પહોંચ્યા ત્યાં સુધીમાં પ્લેન હૈદરાબાદ માટે રવાના થઈ ચૂક્યું હતું. ત્યારબાદ 90 મિનિટ રાહ જોયા બાદ રાજ્યપાલે બીજી ફ્લાઈટ લીધી.
શું છે સમગ્ર મામલો
પ્રોટોકોલ ટીમના અધિકારીએ જણાવ્યું કે રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત ગુરુવારે (27 જુલાઈ) બપોરે 1.30 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા અને ટર્મિનલ 1ના VVIP લાઉન્જમાં બેઠા. એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફને તેમના આગમનની જાણ કરવામાં આવી હતી. એર એશિયાની આ ફ્લાઈટ બપોરે 2.50 કલાકે ઉપડવાની હતી. ગવર્નર ટર્મિનલ 1 થી 2:06 વાગ્યે ટર્મિનલ 2 પર પહોંચ્યા, પરંતુ એરલાઇન્સના કર્મચારીઓએ વિલંબને ટાંકીને તેમને બોર્ડમાં જવાની મંજૂરી આપી ન હતી.
90 મિનિટ પછી બીજી ફ્લાઈટ લેવી પડી
પીટીઆઈ એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત ગુરુવારે બપોરે ટર્મિનલ-2 થી હૈદરાબાદ જવાના હતા, જ્યાંથી તેઓ દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે રોડ માર્ગે રાયચુર જવાના હતા. એર એશિયાની ફ્લાઈટ આવતાની સાથે જ તેમાં ગેહલોતનો સામાન લોડ થઈ ગયો હતો. જોકે, સૂત્રોનું કહેવું છે કે રાજ્યપાલને ટર્મિનલ પહોંચવામાં વિલંબ થયો હતો. તે VIP લોન્જમાં પહોંચ્યા ત્યાં સુધીમાં ફ્લાઇટ હૈદરાબાદ જવા રવાના થઈ ગઈ હતી. રાજ્યપાલને હૈદરાબાદ પહોંચવા માટે 90 મિનિટ પછી બીજી ફ્લાઈટ લેવી પડી હતી.


