મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪'નો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મધર ઓફ ડેમોક્રેસી - ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @૧૦૦) અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને 'સમૃદ્ધ ભારત માટેના પાંચ વચન'નાં પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત બુક 'એક્ઝામ વોરિયર્સ' બાળકોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, શહેરના ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી અમુલભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જ્હા, નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન શ્રી મિલિંદજી તથા મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.