રાજપીપળા : કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કામાં રાજયના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે આજરોજ નર્મદા જિલ્લાના કરાઠાં ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ ગામની બાળાઓએ રથ યાત્રાનો કંકુ-તિલક કરીને ઉષ્માભેર આવકાર કર્યો હતો.
ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી. સાથે સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળી હતી. રથ યાત્રા કાર્યક્રમ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભુમિકા રાઉલના હસ્તે ગામના સરપંચ શ્રીમતી સપનાબેન વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત મહેમાનોશ્રીઓ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીએને કીટ અને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં.
મેરી કહાની, મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાની સફળતાની કહાની રજુ કરીને ગામના લોકોને સરકારશ્રીના લાભ લેવા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસનો કેમ્પ, આઇ.સી.ડી.એસ. સહિત વિવિધ વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સાથે જિલ્લા માહિતી વિભાગ દ્વારા યોજનાકીય માહિતીપ્રદ સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના સદસ્ય શ્રીમતી જયાબેન વસાવા, જિલ્લા પુરવઠા અધિકારશ્રી એસ.ડી. ચૌધરી, જિલ્લા ક્ષય અધિકારી શ્રીમતી ઝંખનાબેન વસાવા, મામલતદાર શ્રીમતી પદમાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી અંજનાબેન ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.એ.કે.સુમન, સંબંધિત અધિકારીશ્રીઓ-પ્રતિનિધિશ્રીઓ સહિત મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.


