(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : આજે ઇસ્લામના મહાન પયગંબરનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે રાજપીપળામાં પણ ઈદ-એ- મિલાદ ની ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી.
રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મળસ્કે સલાતો સલામ પઢવામાં આવી હતી મસ્જિદોમાં ફઝરની નમાજ અદા કરાઈ હતી ત્યારબાદ જુમા મસ્જિદ ખાતેથી ઝુલુસનું આયોજન કરાયું હતું જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઉપરાંત ઠેર ઠેર કેક,ચોકલેટ, નિયાઝ નું આયોજન કરાયું હતું,આજના દિવસે ગરીબો ને ખવડાવવું, દાન કરવું તેમજ સમાજીક ઉત્થાન કાર્યો લોકો કરતા હોય છે.રાજપીપળામાં ફરેલા જુલૂસ માં ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ ખડે પગે રહ્યો હતો.
આજના દિવસ બાબતે મુસ્લિમ અગ્રણી શાહનવાઝ પઠાણએ જણાવ્યું હતું કે ઇસ્લામ ના મહાન પયગંબર અલ્લાહ ના છેલ્લા દૂત છે તેઓએ લોકોને અલ્લાહની કિતાબ વિશે સમજાવ્યા ,જીવન શૈલી શીખવાડી, શાંતિનો પેગામ આપ્યો, મહિલાઓને સમાજમાં ઉત્તમ સ્થાન અપાવ્યું, નીચી જાતિના લોકોને અછૂત માનવામાં આવતા પરંતુ પયગંબર સાહેબે બિલાલ હબસી જેવા ગુલામને પોતાના ગળે લગાવી ઊંચ નીચના ભેદભાવો ખતમ કર્યા ઉપરાંત દુનિયાને શાંતિ અને સલામતીનો સંદેશ આપ્યો ત્યારે તેમણે શીખવાડેલ જીવન શૈલી દરેક માનવીએ પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે ઉપરાંત આજના મુબારક દિવસે વિશ્વમાં શાંતિ અને સલામતી માટે દુઆ ગુજરાઈ હતી.