રાજપીપલા : મહિલા સશક્તિકરણની જીવાદોરી સમાન સખીમંડળોની બહેનોને
પ્રોત્સાહિત કરવા માટે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત, વિકસિતગુજરાત” થીમ હેઠળ નારી શક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનોને આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગરીબ-મધ્યવર્ગ, ખેડૂતો, યુવાનો સહિત મહિલાઓની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમુદાય સહિત સમાજની મહિલાઓના સામાજિક, આર્થિક અને સામાજિક
ઉત્કર્ષ માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે પણ વિવિધ મહિલાલક્ષી યોજનાઓને આગળ ધપાવીને આદિવાસી સમાજની દીકરીઓ-મહિલાઓને સશક્ત કરવાના સુદ્રઢ પ્રયાસો કર્યા છે.
વધુમાં સાંસદ શ્રીએ ઉમેર્યું કે, સરકારે મહિલાઓને વિકસિત ભારતની શક્તિ બનાવવા માટે તેમની શક્તિને ખિલવવાનું કાર્ય કર્યું છે, જેના પરિણામ સ્વરૂપે આજે બહેનો વહિવટી તંત્રના મહત્વપૂર્ણ હોદ્દાઓ અધિકારી તરીકે પોતાની ભૂમિકા અદા કરી રહી છે. દીકરીઓ આજે ડોક્ટર, ઇજનેર, આર્મીમાં જોડાઈ
રહી છે, ગૃહ ઉદ્યોગ, નાના ઉદ્યોગો શરૂ કરીને પગભર બનીને સ્વમાનભેર જીવન જીવી રહી છે.