આણંદ : સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં આગામી તારીખ ૮ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ‘‘હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનાને સફળ બનાવવા તેના સુચારૂ આયોજન અને અમલીકરણ અર્થે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, જિલ્લામાં આવેલી ખાનગી ઈમારતો અને વ્યાપારી સંકુલો, શાળાઓ, વ્યક્તિગત ઘરો પર તિરંગો લહેરાશે. “હર ઘર તિરંગા” ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ અવસરમાં સૌ સહભાગી બને તે માટે સૌ નાગરિકોને, અધિકારી / કર્મચારીઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો.
કલેકટરશ્રીએ હર ઘર તિરંગા અભિયાન દરમિયાન જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં નગરજનોને બહોળી સંખ્યામાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક નાગરિકો પોતાના ઘરો પર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. સાથે સાથે ભારતીય ધ્વજ સંહિતાનું પણ ચૂસ્તપણે પાલન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે નાગરીકો/અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ તિરંગા સાથેના ફોટો સોશિયલ મિડિયાનાં પોસ્ટ કરે તે પ્રકારનું આયોજન કરવા, કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ તે બાબતે સંકલન કરવા સબંધિતશ્રીઓને જરૂરી સુચના આપી હતી. આ બેઠકમાં શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવા, તિરંગા યાત્રાના રૂટની પસંદગી સહિતની ચર્ચા પણ કરવામાં આવી હતી.
તિરંગા અભિયાનના સફળ આયોજન અર્થે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર એસ દેસાઈ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.