મુખ્ય સામગ્રી પર જાઓ

માત્ર એક SMS કે કૉલથી મળશે રોપા: ગુજરાત સરકારનું પર્યાવરણ સંરક્ષણ તરફ મોટું ડગલું

રાજ્યમાં વૃક્ષારોપણના અભિયાનને વેગ આપવા અને નાગરિકોને સરળતાથી રોપા ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત વન વિભાગે એક નવી ઇન-હાઉસ ડિજિટલ હેલ્પલાઇન સિસ્ટમ કાર્યરત કરી છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વર્ષે ૧૧.૮૦ કરોડ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જેનું વિતરણ નાગરિકોને કરવામાં આવશે.

માત્ર એક SMS કે કૉલથી મળશે રોપા: ગુજરાત સરકારનું પર્યાવરણ સંરક્ષણ તરફ મોટું ડગલું

ગાંધીનગર : તમે છોડ વાવવા માંગો છો પરંતુ નજીકની ગુજરાત વન વિભાગની નર્સરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે? તો હવે તેનો એક સરળ ઉપાય છે. બસ 8320002000  મોબાઇલ નંબર પર ડાયલ કરો. આ કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારા મોબાઈલ ફોન પર એક લિંક સાથેનો SMS આવશે. આ લિંક ખોલવાથી તમારા વિસ્તારની વન વિભાગની સામાજિક વનીકરણ વિભાગની નર્સરીની સંપર્ક વિગતો, ગૂગલ મેપ્સ (Google Maps) પર તેનું લોકેશન અને સંબંધિત વન અધિકારીઓનાં મોબાઇલ નંબર સહિતની માહિતી મળી જશે. આ વ્યવસ્થા વ્યવસ્થાને કારણે લોકોને વન વિભાગની નર્સરીઓમાંથી રોપાઓ મેળવવામાં સરળતા રહેશે.

આ ઉપરાંત, જો તમે 8320002000 પર "Hi" લખીને SMS અથવા WhatsApp મેસેજ મોકલશો, તો પણ તમને એક વેબ લિંક ધરાવતો SMS મળશે. આ લિંક પર ક્લિક કરવાથી એક મેનૂ ખુલશે જેમાં ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFOs), ઇકો-ટૂરિઝમ સાઇટ્સ અને વનને લગતી અન્ય સેવાઓની સંપર્ક વિગતો સહિતના અનેક વિકલ્પો મળશે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જનભાગીદારી દ્વારા દેશના ગ્રીન કવરનો વ્યાપ વધારવા માટે 'એક પેડ મા કે નામ' અભિયાન શરૂ કર્યું છે અને ગુજરાતે તેમની આ હાકલની ઉપાડી લીધી છે.

 

"મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ, સમગ્ર ગુજરાતને વધુ હરિત બનાવવાનાં અભિયાનમાં હજ્જારો લોકો જોડાય અને વૃક્ષારોપણ માટે નાગરિકોને તેમની આપસાપની વન વિભાગની નર્સરીઓમાંથી રોપાઓ સરળતાથી મળી રહે તેની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે, વન વિભાગની સામાજિક વનીકરણ વિંગ દ્વારા ૧૧.૮૦ કરોડ રોપાઓ નાગરિકોમાં વિતરણ કરવા માટે ઉછેરવામાં આવ્યા છે ," વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ.

 

"વન વિભાગની આ નાગરિક-કેન્દ્રી પહેલ અંતર્ગત, ગુજરાત વન વિભાગે એક ઇન-હાઉસ ડિજિટલ હેલ્પલાઇન સિસ્ટમ શરૂ કરી છે. જે રાજ્યભરના લોકોને સહાય અને ફરિયાદોના નિવારણ માટે યોગ્ય વન અધિકારીઓ સાથે જોડાવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે," વન અને પર્યાવરણનાં રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું.

વન વિભાગ દ્વારા આ ડિજિટલ સેવાને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને વિભાગને દરરોજ અંદાજે ૩૦ થી ૪૦ કૉલ મળી રહ્યા છે. "આ પહેલની મુખ્ય વિશેષતા તેનું ડાયનેમિક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મને જરૂરિયાતો મુજબ ઝડપથી બદલીને અપડેટ કરી શકાય છે," એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) એસ. કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

 

ફોરેસ્ટ નર્સરીમાંથી રોપાઓ કેવી રીતે મેળવવી?

 

"નાગરિકો કોઈપણ વન વિભાગની નર્સરીમાંથી છોડના કદના આધારે ₹૫ થી ₹૧૫ સુધીની નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ ખરીદી શકે છે. સમગ્ર રાજ્યમાં વન વિભાગની કુલ ૪૫૩ નર્સરીઓ આવેલી છે. ૧૫ × ૨૫ સેન્ટિમીટર અથવા ૧૦ × ૨૦ સેન્ટિમીટરના કદની પોલીબેગમાં ઉછેરવામાં આવેલા રોપાઓ મફત વિતરણ કરવામાં આવે છે. જે નાગરિકો વિનામૂલ્યે અથવા રાહત દરે રોપાઓ મેળવવા માંગતા હોય તેઓને તેમના જિલ્લાના સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અથવા ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (DCF) નો સંપર્ક કરી શકે છે,’’ આર,કે. સુગૂર, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (સોશિયલ ફોરેસ્ટ્રી), જણાવ્યું હતું.

 

વન્યજીવોના રેસ્ક્યૂની વિનંતી માટે ૧૯૨૬ હેલ્પલાઇન ડાયલ કરો

 

"વન વિભાગ સંદર્ભે કોઇ ફરિયાદો હોય અથવા વધુ મદદની જરૂર હોય તેવા કિસ્સાઓમાં નાગરિકો વન વિભાગની ટોલ-ફ્રી હેલ્પલાઇન 1926 પર સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઇન પર પણ દરરોજ અંદાજે ૩૦ થી ૪૦ કૉલ આવે છે.

 

આ સમગ્ર સિસ્ટમ વન વિભાગ દ્વારા ઇન-હાઉસ (પોતાની રીતે જ) વિકસાવવામાં આવી છે અને તેનું સંચાલન પણ તે જ કરી રહ્યું છે. જે કોઈ પણ વધારાના ખર્ચ વિના જાહેર સેવા વિતરણમાં સુધારો કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર વિભાગના ભારને દર્શાવે છે. આ પહેલથી વન વિભાગ પાસે સહાય માંગતા નાગરિકો માટે આશિર્વાદરૂપ છે.

Tags: વૃક્ષારોપણ વન વિભાગ નર્સરી સામાજિક વનીકરણ ગુજરાત વન વિભાગ ડિજિટલ હેલ્પલાઇન સિસ્ટમ

સંબંધિત સમાચાર