પશ્ચિમ રેલ્વેના મંડળ રેલ્વે ચિકિત્સાલય, પ્રતાપનગર, વડોદરાના ઓપીડી રૂમમાં તબીબી વિભાગ દ્વારા મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. દીપાલી તિવારીના માર્ગદર્શન હેઠળ લીવર સ્ક્રીનિંગ (ફાઈબ્રોસ્કેન) કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો ઉદ્દેશ્ય રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના આશ્રિતોમાં લીવર સંબંધિત રોગોની પ્રારંભિક તબક્કામાં ઓળખ કરીને સમયસર સારવાર અને જરૂરી પરામર્શ ઉપલબ્ધ કરાવવાનો હતો.
પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેના દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, આ કેમ્પમાં કુલ 67 રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને આશ્રિતોની ફાઈબ્રોસ્કેન તપાસ શ્રી અવિનાશ જગતાપ (BO) અને શ્રી સુનિલ પરમાર (ટેકનિશિયન), ઝાયડસ હેલ્થકેર લિમિટેડ, ડિસ્કવરી ડિવિઝન, વડોદરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. દીપાલી તિવારીએ જણાવ્યું કે ફાઈબ્રોસ્કેન એક આધુનિક, સુરક્ષિત, દર્દ રહિત અને બિન-આક્રમક (નોન-ઇન્વેસિવ) તપાસ પદ્ધતિ છે, જેના માધ્યમથી લીવરમાં ચરબી (ફેટી લીવર) અને ફાઈબ્રોસિસ (લીવરમાં કઠોરતા/નુકસાન) નું ઝડપી મૂલ્યાંકન કરવામાં આવે છે. આ તપાસ ખાસ કરીને ડાયાબિટીસ, સ્થૂળતા, ફેટી લીવર, લાંબા સમય સુધી દારૂના સેવન, હેપેટાઈટીસ-બી/સી, લીવર એન્ઝાઇમમાં વધારો અને મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત વ્યક્તિઓ માટે અત્યંત ઉપયોગી છે.
ડૉ. દીપાલીના જણાવ્યા અનુસાર, સમયસર લીવરના રોગોની ઓળખ થવાથી યોગ્ય જીવનશૈલીમાં ફેરફાર, નિયમિત તબીબી પરામર્શ અને સારવાર દ્વારા સિરોસિસ અને અન્ય ગંભીર જટિલતાઓથી બચાવ શક્ય છે.
મંડળ રેલ્વે ચિકિત્સાલય દ્વારા સમય-સમય પર આવા સ્વાસ્થ્ય જાગૃતિ અને તપાસ કેમ્પ આયોજિત કરવામાં આવતા રહે છે, જેથી રેલ્વે પરિવારને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય.