મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાશે

૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ૮૨ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કરાશે, યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૫૭૮ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરાશે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાશે

આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦ મો પદવીદાન સમારોહ મહામહિમ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી
તા. ૨૩/૦૨/૨૦૨૪ શુક્રવારે સવારના ૧૧-૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના જીમખાના મેદાન ખાતે યોજાનાર છે.

આ પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૭૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮૨ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

જયારે કૃષિ યુનિવર્સિટીના સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર હોવાનું આણંદ કૃષિ યુનિવર્સિટીની એક યાદીમાં જણાવાયું છે.

આ પદવીદાન સમારોહના મુખ્યમહેમાન તરીકે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદના નિયામકશ્રી ડૉ. નિલેશ દેસાઈ ઉપસ્થિત રહી પદવીધારકોને દીક્ષાંત પ્રવચન આપશે. આ પદવીદાન સમારોહનું જીવંત પ્રસારણ આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in ઉપર કરવામાં આવનાર હોવાનું આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા દ્વારા વધુમાં જણાવાયું છે.

fashion

સંબંધિત સમાચાર

travel