આણંદ : જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, આણંદ ખાતે જિલ્લા માર્ગ સલામતી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રીએ અગાઉની માર્ગ સલામતી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓ અંગે કરવામાં આવેલી કામગીરીની સમિક્ષા કરી હતી.
કલેકટરશ્રીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ સબંધિત વિભાગોને ચોમાસાની ઋતુને અનુલક્ષીને માર્ગ સલામતી બાબતે જરૂરી કામગીરી કરવા સૂચન-માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે જાહેર રસ્તા પર અનુસરવાના માપદંડો અને ટ્રાફિકના નિયમોનું સુચારૂ પાલન કરવામાં આવે તથા જિલ્લાના જે-તે જાહેર માર્ગના વિસ્તારોમાં ઊભા કરાયેલા ગેર કાયદેસરના દબાણ ત્વરિત દૂર કરવા અને જિલ્લાના વિવિધ માર્ગો પર થતી નાની-મોટી સમસ્યાઓને દૂર કરી નાગરિક સુરક્ષા અર્થે જિલ્લામાં માર્ગ સલામતીનો સંપૂર્ણ અમલ થાય તે માટે જરૂરી આયોજન કરી કામગીરી કરવા તમામ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ ચિખોદરા-સારસા માર્ગ ઉપર માર્ગ અકસ્માતો નિવારવા રી-સરફેસીંગ તથા સાઇનેજીસનો અભાવ દૂર કરી તે માટે જરૂરી માર્ગ સલામતી વિષયક કાર્યવાહી કરવા ચીખોદરા સારસા માર્ગ પર રોડ સાઈનેજીસને લગતી કેટલીક કામગીરી કરવામાં આવી હોવાની સકારાત્મક કામગીરી તથા બાકી રહેલ કામગીરીમાં કયા પગલાં જરૂરી છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ ચોમાસાની ઋતુને સંદર્ભે જરૂરી પગલા લેવા બાબતે, દાંડી માર્ગ એન.એચ.૬૪ ઉપર અલગ અલગ સ્થળોએ બમ્પ મુક્વા બાબતે, લાંભવેલ-આણંદ વચ્ચેના દાંડીપથ માર્ગ પર રોડ એક્સીડેન્ટ અને ટ્રાફિક ઘટાડવા અંગે મળેલ રજુઆત બાબતે, એક્સપ્રેસ હાઈવે પર ખાનગી બસો દ્વારા પેસેન્જરોને પીક-અપ ડ્રોપ અટકાવવા બાબતે, બોરસદ ચાર રસ્તા ખાતેના ઓવર બ્રિજ પાસે આવેલ જિલ્લા સેવા સદનની સામે થતી ટ્રાફિકની અવર-જવર અંગે, જિલ્લાના બે બ્લેક્સ્પોટમાં ગામડી ઓવરબ્રિજ અને મણીલક્ષ્મીતીર્થ વાસદ-તારાપુર રોડ બન્નેના તપાસ અને અહેવાલની કામગીરી બાબતે, બાળકોને શાળા લાવવા લઈ જવા સમયે પરિવહન માર્ગ પર સલામતી સુનિશ્ચિત કરવા તથા સામરખા ચોકડીથી ભાલેજ અને એક્સપ્રેસ હાઇવે તરફના માર્ગ પર બનતા વાય જંક્શન પર માર્ગ સલામતી જેવાં મુદ્દાઓ કલેક્ટરશ્રી સમક્ષ રજુ કર્યા હતાં. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો/મુદ્દાઓ ને ધ્યાને લઈ સબંધિત વિભાગને તાકીદે યોગ્ય કામગીરી કરવાં જણાવ્યુ હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન. પંચાલ, પ્રાંત અધિકારી સર્વશ્રી મયુર પરમાર, પી.આર.જાની, અમિત પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.