ચીન બાદ હવે ભારતમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીના કેસ નોંધાયા છે. ICMR એ તેના નિયમિત સર્વેલન્સ દ્વારા કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના બે કેસ શોધી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અને ભારતની વિવિધ રાજ્ય સરકારો પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે અને અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં HMPVનો એક કેસ પણ જોવા મળ્યો છે.
3 નાના બાળકોમાં કેસ જોવા મળ્યો
કર્ણાટકમાં બે શિશુઓમાં HMPV વાયરસના લક્ષણો નોંધાયા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, HMPV વાયરસથી સંક્રમિત બ્રોન્કોપ્યુન્યુમોનિયાનો ઇતિહાસ ધરાવતા 3 મહિનાના નવજાત બાળકને બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દરમિયાન, આ જ હોસ્પિટલમાં 3 જાન્યુઆરીએ કર્ણાટકમાં બ્રોન્કોપ્યુનિમોનિયાનો ઇતિહાસ ધરાવતું 8 મહિનાનું એક શિશુ પણ HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યું હતું. બાળક હવે સ્વસ્થ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના અમદાવાદમાં પણ HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ વાયરસ 2 મહિનાના બાળકમાં જોવા મળ્યો છે. બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોણ જોખમમાં છે?
રવિવારે આંધ્ર પ્રદેશ સરકારે HMPV વાયરસ સંબંધિત અપડેટ શેર કર્યું. આંધ્ર પ્રદેશ સરકારે રિલીઝમાં કહ્યું છે કે વાયરસ કોવિડ-19ની જેમ જ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. તે મુખ્યત્વે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓને અસર કરે છે. જો કે, આંધ્રપ્રદેશમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) નો કોઈ કેસ નોંધાયો નથી.
ચેપ કેવી રીતે ફેલાય છે?
આંધ્રપ્રદેશના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણના નિયામક કે. પદ્માવતીના જણાવ્યા અનુસાર, એચએમપીવીથી સંક્રમિત વ્યક્તિઓના નજીકના સંપર્કમાં રહેલા વ્યક્તિઓને વાયરસના સંક્રમણનું જોખમ રહેલું છે. તેમણે કહ્યું કે આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિઓના ઉધરસ, છીંક, સ્પર્શ અને હાથ મિલાવવાથી પણ ફેલાય છે.
બીજી તરફ, દિલ્હીના આરોગ્ય અધિકારીઓએ રવિવારે 'હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)' અને અન્ય શ્વસન ચેપને લગતા સંભવિત સ્વાસ્થ્ય પડકારો અંગે સજ્જતા સુનિશ્ચિત કરવા માર્ગદર્શિકા જારી કરી હતી.


