ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
તેમણે નવેમ્બર-2025માં રાજ્ય સરકાર સાથે યોજેલી બેઠકના સંદર્ભે થયેલી જે કામગીરી પ્રગતિ થઈ છે તેની વિગતો આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌરે આપી હતી, તે અંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સલાહકારશ્રીએ કરેલા પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા સેક્શન પરના કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી.
રાજ્યમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગતના જે પ્રોજેક્ટ્સની કામગીરી ચાલી રહી છે, તેની વિસ્તૃત સમીક્ષા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરતા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ કરાશે.
એટલું જ નહિ, સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે ફંડ મેળવવા અંગેની દરખાસ્તો ત્વરાએ કેન્દ્રીય મંત્રાલયને મોકલી આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરીજીએ માર્ગોના DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાનું જે મોડલ ગુજરાતે અપનાવ્યું છે તે માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતનું મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બની શકે તેમ છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચેના સુચારું સંકલનના પરિણામે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન સંપાદન સહિતના કામોમાં ગતિ આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામોમાં ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલો પર્યાવરણપ્રિય વિકાસનો અભિગમ આગળ ધપાવતા શ્રી ગડકરીજીએ વિવિધ માર્ગોના રોડ વિસ્તરણ અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોનું તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ ડૉ. અંજુ શર્મા, NHAIના ટેકનિકલ મેમ્બર શ્રી આલોક દીપાંકર, રાજમાર્ગ મંત્રાલયના ચીફ એન્જિનીયર શ્રી મનોજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે તેમજ માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયા, ખાસ સચિવશ્રી ગાંધી તથા NHAIના અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.