સુરતમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ભટારના આંબેડકર નગર, આઝાદનગર, ઇન્દિરાનગર અને રસુલાબાદના બે હજાર અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ, ઘરવખરી, કપડા સહાય મળીને પ્રત્યેક પરિવારને કુલ રૂ. ૬૮૦૦ ની આર્થિક સહાયનું વિતરણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ ડોર-ટુ-ડોર સર્વેમાં પૂરો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત નહીં રહે અને દરેકના ઘરે જઈને આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વરસાદથી પ્રભાવિત સુરતે ફરી એકવાર પોતાના અદમ્ય સાહસ, ધીરજ અને એકતાનો પરિચય આપ્યો છે. મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં લોકોએ હિંમત હારી નથી અને સકારાત્મક અભિગમ સાથે એકબીજાનો સહારો બનીને સાથે ઊભા રહ્યા છે. જે પરિવારો, વેપારીઓ અને નાગરિકોનો માલ-સામાન અને આજીવિકાને અસર પહોંચી છે, તેવા પ્રત્યેક પરિવારને રૂ.૬૮૦૦ ની સહાય પીઠબળ સમાન બની રહેશે.
દરેક જનપ્રતિનિધિ, રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોની સાથે મજબૂતીથી ઊભા છે એમ તેમણે ઉમેર્યું કે, આ આર્થિક સહયોગ માત્ર આજ પૂરતો મર્યાદિત નહી રહે, પરંતુ પુનર્વસન અને સામાન્ય જીવન તરફ પાછા ફરવાની સમગ્ર સફરમાં સરકાર પૂર અસરગ્રસ્ત પરિવારોની સાથે ખભે-ખભા મિલાવીને ઊભી રહેશે.
સુરતમાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર તેજસ પરમારે તાકીદે સર્વે હાથ ધરવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને પ્રાંત અધિકારી (દક્ષિણ) વી.જે.ભંડારીમાં માર્ગદર્શનમાં મજુરા વિસ્તારના અસરગ્રસ્તોનો સર્વે કરી ઘરવખરી તથા મનરેગા યોજના મુજબ દરરોજના મહેનતાણું મળીને કૂલ રૂ.૬૮૦૦ સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરમાં અત્યાર સુધીમાં દક્ષિણ પ્રાંત અધિકારી વી.જે. ભંડારીના માર્ગદર્શન હેઠળ અંદાજિત ૨૫૦૦થી વધુ પરિવારોને આર્થિક રાહત પૂરી પાડવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમાર, મ્યુ. કમિશનર એમ નાગરાજન, પ્રાંત અધિકારી(દક્ષિણ) વી.જે. ભંડારી સહિત સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા.