રાજપીપલા : નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના મોટીભમરી ગામે ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા ‘ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠી’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને કૃષિ ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ પોતાનું ઉત્પાદન વધારી આર્થિક રીતે સમૃદ્ધ બની શકે.
ચર્ચા-ગોષ્ઠીમાં કૃષિ નિષ્ણાંતોએ બદલાતા હવામાન વચ્ચે પાક વ્યવસ્થાપન, કઠોળ પાકોમાં આત્મ નિર્ભરતા, ડી.એ.પી અને યુરીયા ખાતરના બદલામાં પ્રાકૃતિક પોષણ વ્યસ્થા, પોષક તત્વોનું સંતુલન, જમીન ચકાસણી, ખાતર વ્યવસ્થાપનનાં સિદ્ધાંતો વિશે માહિતગાર કર્યા હતા અને પાકની ઉપજ વધારવા, જમીનની તંદુરસ્તી વધારવા અને પોષક તત્વો (N, P, K, અને સૂક્ષ્મ પોષકતત્વો) નો ચોક્કસ, જરૂરી ગુણોત્તર પૂરો પાડીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સંતુલિત ખાતરનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતુ.
ગોષ્ઠી દરમિયાન પ્રશ્નોત્તરી સત્રનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં ખેડૂતોએ પાકમાં આવતા રોગ-જીવાત અને તેના નિયંત્રણ અંગે મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નોના સ્થળ પર જ સરળ અને સચોટ ઉપાયો બતાવી ખેડૂતોનું યોગ્ય માર્ગદર્શન કર્યું હતું. આ સાથે જ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના કૃષિ પ્રયોગો અને સફળતાની ગાથા અન્ય ખેડૂતો સાથે શેર કરી હતી.
‘આત્મા’ પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓએ સરકારશ્રીની વિવિધ સહાય યોજનાઓ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની તકનીકો, મિશ્ર પાક પધ્ધતિ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રેરણાદાયી પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. એમ. વી. તિવારી; શ્રી બી વાય પંચોલી ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર, આત્મા પ્રોજેકટ; શ્રી એચ. જે. વસાવા; કુ. આઈ. જી. પટેલ માર્કેટિંગ કન્સલ્ટન્ટ સહિત અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈ-બહેનોએ આ વૈજ્ઞાનિક ગોષ્ઠી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.