આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી. એનો મતલબ એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસુસ કરે છે કે પાટીદારો હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે.
આ અમારા માટે ગર્વની વાત છે. હું આજે ભાજપને અને નીતિનભાઈને કહેવા માગું છું કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે. ભાજપે જે પાપ કર્યા છે પાટીદાર યુવાનો ઉપર જે ગોળીઓ વરસાવી, આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ, વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ, તમામ મધ્યમ વર્ગ ભાજપની નીતિઓથી દુઃખી છે. હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલા માટે માત્ર પાટીદાર સમાજ જ નહીં ગુજરાતના તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈને ખુદ નીતિનભાઈ દુઃખી છે. અનેકવાર તેમને જાહેરમાં પોતાની પાર્ટી ઉપર ચાબખા માર્યા છે અનેક વખત ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટ પણ આપ્યા છે. નીતિનભાઈ જાણે છે કે આજે આ પહેલા જેવી ભાજપ નથી રહી જેમાં એમના જેવા કુશળ નેતાઓ હતા. આજે ચાપલૂસી કરનારાઓ, ખુશામતખોરો મંત્રી બનીને બેઠા છે. ગુજરાતની જનતા સાથે કોઈને નિસ્બત નથી એવા લોકો ભાજપની અંદર નેતૃત્વમાં છે. જેનાથી નીતિનભાઈ પણ દુઃખી છે.
પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વધુમાં કહ્યું હતું કે, હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માગું છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતની ભલાઈ માટે આમ આદમી પાર્ટીમાં આવવું જોઈએ. અમે તમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી તમામ લોકો જે ગુજરાતનું ભલું ઈચ્છે છે તેમની છે. આજે ભાજપમાં ખૂબ જ અહંકાર જોવા મળે છે વારંવાર સમાજને લઈને પોતાનો ઇજારો હોય તેવું સાબિત કરવાની કોશિશ કરે છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો. સમાજથી પાર્ટી હોય, સમાજથી સરકાર હોય, સમાજથી રાજ્ય હોય, સમાજથી દેશ હોય છેે.
કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઇજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય આજે ગુજરાતની જનતાએ કર્યો છે. પાટીદાર સમાજમાં આજે ગોપાલ ઇટાલીયા જેવા નેતાને આખું ગુજરાત સ્વીકારે છે અને આખો પાટીદાર સમાજ ગોપાલ ઇટાલીયાના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે એટલે અમે આદર સાથે કહેવા માંગીએ છીએ કે ભાજપે આટલો અહંકાર છોડી દેવો જોઈએ. લોકોને તેમના ઘરે જઈને મળીને તેમની વેદના પીડા જાણવાનું રાખો. આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ લોકોને સાથે જોડીને આગળ વધી રહી છે. મને પૂરો ભરોસો છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને એક નવા નેતૃત્વ અને એક નવી પાર્ટીનો ઉદય કરવાની છે.


