આચાર્ય રણછોડલાલજી ગોસ્વામી આ સન્માનને પોતાની વ્યક્તિગત સિદ્ધિ કરતાં વધુ સમગ્ર હવેલી સંગીત પરંપરાનું ગૌરવ ગણાવે છે. તેઓ કહે છે, “આ પુરસ્કાર ભારતની ભક્તિ, સંગીત અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને મળેલું સન્માન છે. હવેલી સંગીતમાં ભારતની આત્મા વસે છે.”
પુષ્ટિમાર્ગની સ્થાપના મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આશરે ૫૫૦ વર્ષ પહેલાં કરી હતી. આ પરંપરામાં કીર્તન અને સંગીતને ભક્તિનું સર્વોચ્ચ સાધન માનવામાં આવે છે. આજે પણ હવેલીઓમાં દિવસના અલગ-અલગ પ્રહરો અને ઋતુઓને અનુરૂપ વિશિષ્ટ રાગોમાં સેવા-કીર્તન કરવામાં આવે છે. વસંત, ગ્રીષ્મ, શ્રાવણ કે શરદ—દરેક ઋતુ માટે અલગ સંગીત પરંપરા વિકસાવવામાં આવી છે, જે હવેલી સંગીતને અનોખી ઓળખ આપે છે.
અમદાવાદના ૪૫૦ વર્ષ જૂના દોષીવાડાની પોળમાં આવેલી ગોસ્વામી હવેલીના આચાર્ય તરીકે સ્થાપિત રણછોડલાલજી ગોસ્વામીએ ગુરુ-શિષ્ય પરંપરામાં સંગીતની તાલીમ મેળવી છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી સંગીત વિષયમાં અનુસ્નાતક અને એમ.ફિલ. પૂર્ણ કરીને હાલમાં પીએચ.ડી. સંશોધન કરી રહ્યા છે.
માત્ર ૩૨ વર્ષની વયે તેઓએ ૨૨ હજારથી વધુ ભક્તિપદોની રચના કરી છે અને આઠ પુસ્તકોનું સર્જન કર્યું છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના હવેલી સંગીત અભ્યાસક્રમમાં તજજ્ઞ તરીકે પણ સેવા આપે છે. વ્રજભાષા, ગુજરાતી, સંસ્કૃત ઉપરાંત ચારણી, મેવાડી અને મારવાડી જેવી ભાષાઓમાં તેમની રચનાઓ જોવા મળે છે.
આચાર્યશ્રીના જણાવ્યા મુજબ હવેલી સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતનું મૂળ સ્વરૂપ છે. પ્રબંધ, ધ્રુપદ અને ધમાર જેવી પ્રાચીન ગાયન પરંપરાઓમાંથી જ આગળ જઈને ખ્યાલ ગાયકીનો વિકાસ થયો છે. હવેલી સંગીતમાં આજે પણ આ મૂળ પરંપરાઓ જીવંત છે.
તેઓ જણાવે છે કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી વિઠ્ઠલનાથજીના સમયથી સૂરદાસ, પરમાનંદદાસ સહિત અષ્ટછાપના કવિઓની રચનાઓ હવેલી સંગીત દ્વારા ગવાતી આવી છે. આ સંગીત માત્ર કલાનું સ્વરૂપ નથી, પરંતુ ભક્તિ અને ઉપાસનાનું જીવંત માધ્યમ છે.
આચાર્યશ્રીનું માનવું છે કે આ પુરસ્કાર સમગ્ર વૈષ્ણવ સમાજ અને શાસ્ત્રીય સંગીતપ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા પંજાબમાં પણ આ પરંપરા આજે જીવંત છે. સ્વતંત્રતા પછી હવેલી સંગીતને આટલા ઊંચા રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યાની આ કદાચ પ્રથમ ઘટના છે.
હવેલી સંગીતના સંરક્ષણ અંગે તેઓ સૂચવે છે કે યુનિવર્સિટી સ્તરે પૂર્ણ સમયના અભ્યાસક્રમો શરૂ થવા જોઈએ. અધિકૃત ગ્રંથોનું સર્જન, સંશોધન, દસ્તાવેજીકરણ અને તુલનાત્મક અભ્યાસને પ્રોત્સાહન મળવું જોઈએ. સાથે જ યુવા પેઢીમાં આ પરંપરા પ્રત્યે રસ જાગે તે માટે સેમિનાર, વર્કશોપ અને વ્યાખ્યાનમાળાઓનું આયોજન પણ સમયની જરૂરિયાત છે.
પાંચ સદીથી વધુ સમયથી મંદિરોની દિવાલોમાં ગુંજતો હવેલી સંગીતનો સ્વર હવે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચ્યો છે. આ સન્માન માત્ર એક કલાકારનું નહીં, પરંતુ ભારતની અમૂલ્ય સંગીત વિરાસતનું ગૌરવ વધારનારું સીમાચિહ્ન બની રહ્યું છે.