અમદાવાદ / નર્મદા / ભરૂચ / ગુજરાત : બહાદુરભાઈ ડી વસાવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ નર્મદા અને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાને આજે સ્થાનિકોને સાથે રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મુદ્દે કલેકટરના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરી હતી. આ દરમિયાન બહાદુરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ડેડીયાવાળાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તેના સંદર્ભમાં આજે અમે નિવાસી કલેકટરને રજૂઆત કરી. એની સાથે આ કેસ જે છે એ મૂળ જંગલ જમીનનો કેસ છે અને અમારી મૂળભૂત રજૂઆત પણ છે કે વન અધિકાર અધિનિયમ 2006 નો કાયદો બનાવવામાં આવ્યો અને એમાં એવી જોગવાઈ છે કે જો કોઈ માણસે દાવો કર્યો હોય તો જ્યાં સુધી તેનો આખરી નિર્ણય નથી આવતો ત્યાં સુધી એ દાવાની જગ્યા કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ છોડાવી શકે એમ નથી. માટે ચૈતરભાઈ અને બીજા નવ લોકોને જે સજા થઈ છે તે ગેરવ્યાજબી છે.
વધુમાં બહાદુરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, બંધારણના 72મી કલમમાં જોગવાઈ આપેલી છે કે કોઈ વિશેષ વ્યક્તિ જેમ કે MLA કે MP હોય તેમની સજા માફ કરવાની જોગવાઈ હોય, એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશિયરીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મૂજી સુચના આપે અને જેમને સજા થઈ છે તેમની સજા માફ થાય અથવા તેમની સજા પર હાઇકોર્ટ તરફથી કે સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે મળે, સજાની માફી મળે, એ રીતની અમે આજે રજૂઆત કરી. મૂળ લડાઈ જળ, જંગલ, જમીનની છે, વન અધિકાર અધિનિયમ 2006ના કાયદાને બને 20 વર્ષ થયો તેમ છતાં અમારા આગેવાનો અને અમારા લોકોને સરકાર પરેશાન કરે એ વ્યાજબી નથી એને ધ્યાનમાં રાખીને આ સજા માફ કરવી જોઈએ.