અમદાવાદઃ તહેવારને આડે માત્ર બે દિવસ જ બાકી છે અને બજારો દિવાળીની ખરીદીના મૂડમાં છે. દિવાળીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે બજારમાં ભીડ વધી ગઈ છે. દિવાળી ધામધૂમથી ઉજવવા લોકો ખરીદીમાં વ્યસ્ત છે. અમદાવાદના લાલા દરવાજા વિસ્તારમાં ભીડ એટલી બધી છે કે જાણે માનવ સાંકળ બની ગઈ હોય.
લાલ દરવાજા વિસ્તારની લાક્ષણિકતા
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ખુલ્લા મોલ જેવા વાતાવરણમાં એટલી ભીડ છે કે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ભદ્ર મંદિર, ત્રણ દરવાજા અને ઢાલગરવાડમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. અહીંની વિશેષતા એ છે કે લાલ દરવાજામાં સામાનની કિંમત સામાન્ય લોકો માટે સસ્તી છે, જેના કારણે અહીં ખરીદી કરવા માટે લોકોની મોટી ભીડ જોવા મળે છે. ઘર સજાવટની ચીજવસ્તુઓ, પગરખાં અને કપડાંની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે.
ગ્રાહકોને સાવચેત રહેવા અપીલ
ખરીદી સમયે ભીડને કારણે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ શકે છે, તેથી તકેદારી જરૂરી છે. તહેવારોના સમયમાં કેટલાક વેપારીઓ ગ્રાહકોને છેતરવાની તકનો લાભ લઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને ગ્રાહક સુરક્ષા અને માપદંડ સમિતિના અધ્યક્ષ મુકેશ પરીખે અપીલ કરી છે કે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે બિલ અવશ્ય લેવું જોઈએ. ઘણીવાર ગ્રાહકો બિલ સ્વીકારતા નથી, જેના કારણે તેઓ છેતરપિંડીનો શિકાર બને છે. 100 રૂપિયાની વસ્તુ ખરીદતી વખતે પણ ગ્રાહકોએ બિલ લેવું જોઈએ.
પોલીસ સુરક્ષા વ્યવસ્થા
લાલ દરવાજા ખાતે વધતી જતી ભીડને જોતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે જેથી કોઈ અસામાજિક તત્વ ભીડનો લાભ લઈ માલસામાન કે પૈસાની લૂંટ ચલાવી ન શકે. પોલીસ સતત ગ્રાહકોને સતર્ક રહેવાની સલાહ આપી રહી છે જેથી લોકો કોઈપણ પરેશાની વિના તહેવારની મજા માણી શકે. દિવાળીની ખરીદીના છેલ્લા તબક્કામાં ભીડ એટલી બધી હોય છે કે જાણે માનવ સાંકળ રચાઈ હોય.