પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ એ કટોસણ રોડ વિસ્તારના જનપ્રતિનિધિઓ, વ્યાપારી સંગઠનો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને વિસ્તારની રેલવે સુવિધાઓ સંબંધિત વિવિધ માંગણીઓ અને સૂચનો પર વિગતવાર ચર્ચા કરી.
બેઠક દરમિયાન પ્રતિનિધિમંડળે કટોસણ રોડ રેલવે સ્ટેશન અને ઉત્તર ગુજરાત વિસ્તારના યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા નીચે મુજબની મુખ્ય માંગણીઓ અને સૂચનો ડીઆરએમ સમક્ષ રજૂ કર્યા —
કટોસણ રોડ રેલવે સ્ટેશન પરથી પસાર થતી સાપ્તાહિક એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેનોમાંથી ટ્રેન સંખ્યા 19271/19272 ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસનું કટોસણ રોડ સ્ટેશન પર 2 મિનિટનું સ્ટોપેજ આપવામાં આવે.
1. સાબરમતી-રણુજ મેમુ સેવાને ચાંદખેડા, ખોડિયાર, કલોલ, કડી, કટોસણ રોડ અને બહુચરાજી થઈને સંચાલિત કરવામાં આવે તથા તેને સવાર, બપોર અને સાંજના સમયે ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી બહુચરાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક યાત્રીઓને સુવિધા મળી શકે.
2. રણુજ-બહુચરાજી-કટોસણ રોડ-કડી-કલોલ-સાબરમતી-સૂરત-વાપી વચ્ચે નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ.
3. મહેસાણા-કટોસણ રોડ-વિરમગામ ટ્રેનને આગળ ઓખા સુધી લંબાવવાનું સૂચન.
4. કટોસણ રોડ જંક્શન રેલવે સ્ટેશન પર આરક્ષણ ક્વોટા (પીઆરએસ) ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી યાત્રીઓને રિઝર્વેશન માટે મહેસાણા અથવા કડી સુધી યાત્રા ન કરવી પડે.
5. કટોસણ રોડના લેવલ ક્રોસિંગ સંખ્યા 29 પર રોડ ઓવર બ્રિજ (આરઓબી) નું નિર્માણ કરાવવામાં આવે, જેથી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિવારણ થઈ શકે.
6. કટોસણ રોડ જંક્શન રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ સંખ્યા-1 પર યાત્રીઓને બેસવા માટે રેલિંગ અને અન્ય જરૂરી યાત્રી સુવિધાઓ વિકસાવવામાં આવે.
પ્રતિનિધિમંડળે એ બાબતથી પણ માહિતગાર કર્યા કે મીટર ગેજના સમયે કટોસણ રોડ જંક્શન પરથી 22 થી વધુ ટ્રેનોનું સંચાલન થતું હતું, જ્યારે વર્તમાનમાં માત્ર બે ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. તેમણે સ્ટેશનના ભૂતકાળના મહત્વને ધ્યાનમાં રાખીને રેલવે સેવાઓ વધારવા માટે વિનંતી કરી.
બેઠક દરમિયાન ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ એ પ્રતિનિધિમંડળ દ્વારા પ્રસ્તુત તમામ માંગણીઓ અને સૂચનોને ગંભીરતાથી સાંભળ્યા તથા ખાતરી આપી કે જે પ્રસ્તાવોનો સંબંધ મંડળ સ્તર સાથે છે, તેમનું નિયમાનુસાર પરીક્ષણ કરવામાં આવશે અને જે બાબતોમાં ઉચ્ચ સ્તરની મંજૂરી અપેક્ષિત છે, તેમને જરૂરી ભલામણ સહિત રેલવેના સક્ષમ સત્તાધિકારીને મોકલવામાં આવશે.
તેમણે કહ્યું કે પશ્ચિમ રેલવે યાત્રીઓની સુવિધાઓના વિસ્તરણ તેમજ પ્રાદેશિક જરૂરિયાતોને અનુરૂપ રેલવે સેવાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને પ્રાપ્ત થયેલા સૂચનોનું વ્યવહારિક તથા રેલવેની જોગવાઈઓ અનુસાર પરીક્ષણ કરવામાં આવશે.