કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે અષાઢી બીજ નિમિત્તે ૧૪૯મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ સહભાગી થયા હતા.
દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી અને પૂજા-અર્ચના કરી હતી.
અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન આજની રથયાત્રાના આ પાવન અવસરે અમદાવાદ મંદિરના મહંત દિલીપદાસજી તથા સંતો-મહંતો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.